આજે ૨ જી ઓક્ટોબર ૨૦૧૭ એટલે રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીની ૧૪૮મી જન્મ જયંતી છે.

બાપુ ૨ ઓક્ટોબર ૧૮૬૯
ભાદરવા વદ બારસ, વિ.સં ૧૯૨૫
પોરબંદર, ગુજરાત, ભારત

આ દિવસે ઠેર ઠેર અનેક લોકો અને સરકારી તંત્ર પણ પૂ. બાપુને યાદ કરી તેમની જન્મ જયંતીને ઉજવશે .

આ દિવસે જ નહીં પણ હમ્મેશાં ગાંધીજીના જીવન કાર્યો અને જીવન સંદેશને યાદ કરીને એમાંથી પ્રેરણા લેવા એમને સ્મરણમાં રાખવા જોઈએ.

એકવાર ગાંધીજીને પૂછ્યું,”આપ,અમ સાધકોના સાથી જ નહી, પણ માર્ગદર્શક પણ છો.અમારા દોષ સહન કેમ કરો છો ?અમને દોષ બતાવતા કેમ નથી?”

ત્યારે ગાંધીજીએ કહ્યું કે,”હું એક માળી છું માળી શું કરે છે?એ એક છોડ વાવે છે એટલે એમાં ખાતર,અને પાણી આપે છે.હવે એ છોડની આસપાસ ઘાસ પણ ઉગે,એ ઘાસને પણ પેલા ખાતર-પાણી મળે છે.છોડની દ્રષ્ટિએ ઘાસ અનિષ્ટ છે,છતાંય માળી એને તરત ઉખેડી નાખતો નથી.એને ખબર છે કે જો ઘાસ ઉખેડવા જઈશ તો કદાચ પેલો કુમળો છોડ પણ ઉખડી જશે.તેથી એ ધીરજ રાખે છે.પછી જયારે તેને ખાતરી થાય છે કે, હવે છોડના મૂળિયાં બરાબર મજબૂત થયાં છે ત્યારે જ તે કુશળતા પૂર્વક ઘાસ ઉખેડી નાખે છે.”

ગાંધીજીની આ વાત સાંભળીને તે જ ક્ષણથી હું આચાર વિચારમાં તેમને ન ગમતા દોષ કયા કયા છે તે શોધવા લાગી ગયો.

દોષો શોધવા અઘરા ન હતા .પરંતુ નજરે ચડેલા દોષોને ઉખાડીને ફેકી દેવા એ કેટલું અઘરું છે તેની તે દિવસથી જ મને ખબર પડવા માંડી.

આજે લાગે છે કે ગાંધી અને એમણે એમના જીવનમાં અપનાવેલાં મુલ્યો વિસરાઈ રહ્યાં છે. અહિંસાને બદલે હિંસા ચારે કોર જોવામાં આવે છે
“આવનારી પેઢીઓ ભાગ્યે જ વિશ્વાસ કરશે કે ક્યારેક આ સંસારમાં એવી વ્યકિત પણ રહી હતી, જે આધુનિક સ્વતંત્ર ભારતના પિતા,નવરાષ્ટ્રના નિર્માતા અને ભાગ્ય વિધાતા એવી ઘણી વિવીધતાઓ લઈને કોઈ નોખી માટીનો માનવી આ દેશમાં જન્મયો હશે”.

ગાંધી ખરેખર કોઈ નોખી માટીથી બનેલી વિભૂતિ હતા.પોરબંદરમાં જન્મેલ મોહનદાસ કરમચંદ ગાંધી નામના સામાન્ય માનવીમાંથી જીવન ભર સત્યના પ્રયોગો કરતા કરતા તેઓ મહાત્મા ગાંધી બની ગયા હતા.

હેપી બર્થ ડે બાપુ

Leave a Comment