જો સગાઇ-લગ્નમાં ખાઈ ખાઈને પેટ ખરાબ થઇ ગયું હોય તો અપનાવો અહીં જણાવેલ ઘરેલું ઉપાય જે થોડા જ સમયમાં જ પેટની તકલીફને દૂર કરી શકે છે. તો ચાલો જાણીએ આજના આર્ટિકલમાં અમુક એવા ઉપાયો વિષે જે તમને પેટની તકલીફથી ચુટકીમાં રાહત આપી શકશે.
તો આજના આર્ટિકલની અગત્યની માહિતી ભૂલ્યા વગર આખી વાંચજો જેથી તમને ઘરેલું અને કરગર ઉપાયોની જાણ રહે. આ માહિતી આપના નજીકના મિત્રો સાથે પણ શેયર કરવાની ભૂલશો નહીં.
ઘર બહાર અથવા સગાઇ-લગ્નમાં જમ્યા પછી ઘણીવાર પેટની તકલીફ થઇ જતી હોય છે. ગેસ, અપચો અને માથાના દુખાવાની તકલીફ થઇ જાય છે અને છેલ્લે આખો દિવસ બગડી જાય છે. પરિણામે થાક મહેસૂસ થાય છે અને પ્રસંગનો ઉત્સાહ પણ મરી જાય છે. તમે પણ આ સમસ્યાથી પરેશાન હોય અથવા આ સમસ્યાથી છુટકારો મેળવવા ઇચ્છતા હોય તો આ લેખની માહિતી ખાસ છેલ્લે સુધી વાંચજો.
અહીં અમુક એવા ઉપાય જણાવ્યા છે જેનાથી તમને સગાઇ-લગ્નમાં ભારે જમ્યા પછી પેટની તકલીફમાં રાહત મળશે અને ગેસ, એસીડીટી કે અપચાની ફરિયાદ નહીં રહે. તો વાંચો નીચેના અસરકારક ઉપાયો :
(૧) મેથીનું સેવન :
મોટાભાગે પ્રસંગમાં ઘરથી બહાર જમવાનું થાય ત્યારે પેટમાં તકલીફ થવાની સંભાવના રહે છે. એવામાં પેટમાં જો બળતરા થતી હોય તો જીરું અને મેથીના દાણા મોટી રાહત આપી શકે છે. એ માટે અડધી ચમચી મેથી દાણા અને અડધી ચમચી જીરાને તેલમાં સારી રીતે સેકી લો. અને એકદમ પાતળી પેસ્ટ બનાવો. આ પેસ્ટમાં દહીં ભેળવીને દિવસમાં ઓછામાં ઓછા એક થી બે વખત સેવન કરો. આ ઉપાય પેટની બળતરામાં બહુ મોટી રાહત આપી શકે છે.
(૨) આદુનું સેવન :
ભારતમાં સૌથી વધારે આદુ ખવાતું હશે કારણ કે અમુક ઘરમાં તો સવારની ચા થી લઈને રાતના ભોજન સુધી આદુનો ઉપયોગ થતો હોય છે. આદુ વાનગીને લહેજત આપે છે સાથે વાનગીને અવારનવાર ખાવાનું મન થાય એવી મજેદાર બનાવવામાં પણ મદદ કરે છે. આદુ સ્વાદમાં ઉત્તમ છે જ; એ સાથે સ્વાસ્થ્યને સુધારવા માટે પણ ઉપયોગી છે. તમે ક્યાંય પણ બહાર ગયા હોય અથવા લગ્ન પ્રસંગે ભારે ખોરાક લઇ ચુક્યા હોય બાદમાં શરીરની અકળામણથી પરેશાન હોય તો આદુ આપની મદદ કરી શકે છે. આદુના પાઉડરને છાસમાં ઉમેરીને પીવાથી પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાંથી છુટકારો મળે છે. ઘણા લોકો મધ પણ સાથે લે છે. દિવસમાં એક થી બે વખત આવી છાસ પીવાથી અપચામાંથી છુટકારો જલ્દીથી મળે છે. ઓડકાર વધુ આવતા હોય તો પણ આ ઉપાય અજમાવી શકાય છે.
(૩) તુલસીના પાનનું સેવન :
તુલસીની છોડ સામાન્ય રીતે દરેક ઘરમાં હોય જ છે પરંતુ આપણે તેના ફાયદાઓ વિષે ખાસ જાણતા નથી હોતા! તુલસીના પાન ઘરેલું ઉપચાર માટે બેસ્ટ ઔષધ છે. તુલસીના પાનને ચાવવાથી પેટની સમસ્યામાંથી રાહત મળે છે. પણ જો તમે લગ્ન પ્રસંગે ભારે ખોરાક લઈને પેટની સમસ્યાથી પરેશાન હોય તો તુલસીનો ઉપયોગ કરી શકાય છે. તુલસીના પાનનો રસ કાઢીને એ રસમાં મધને ભેળવીને પીવાથી પેટની ખરાબીમાંથી તુરંત રાહત મળે છે. આ રસને દિવસમાં એક થી બે વખત લઇ શકાય છે. આ ઉપાયને અજમાવવા માટે કોઈ વધારાની વસ્તુની જરૂર પડતી નથી. તો તમે પણ પેટની સમસ્યામાંથી છુટકારો મેળવવા તુલસીના પાનનો ઉપયોગ કરી શકો છો.
(૪) ખાંડ અને લીંબુનું મિશ્રણ :
વર્ષના અમુક દિવસોમાં એવું પણ બને છે કે સામાન્ય ખોરાક લીધા બાદ પણ પેટ ખરાબ થવાની સમસ્યા રહે છે. બે ચાર દિવસ કઠીન રીતે વીતે છે અને પેટને અંદરથી સાફ કરવા માટેનો સમય રહે છે, એવામાં ઘરગથ્થુ ઉપચાર ખાંડ અને લીંબુનું મિશ્રણ કામ આવે છે. ગમે ત્યારે પેટ ખરાબ થવાની સમસ્યા થઇ હોય તો એવામાં હુંફાળા પાણીમાં સહેજ ખાંડ અને લીંબુના રસને ભેળવીને પીવાથી બહુ જ ટૂંકા સમયમાં પેટની સમસ્યા દૂર થાય છે. દિવસમાં બે થી ચાર વખત આવું પાણી પીવાથી પેટને અંદરથી સારું રાખી શકાય છે અને પેટની સંબંધિત અન્ય સમસ્યામાંથી છુટકારો મેળવી શકાય છે. અમુક લોકો લીંબુ, આદુનો રસ અને તીખાને મિશ્ર કરીને તેને હુંફાળા પાણી સાથે સેવન કરે છે. આવું પાણી પણ શરીર માટે એકદમ સારું રહે છે.
(૫) હિંગનો ઉપયોગ :
નાના બાળકોને અપચો કે કબજિયાત થવાની સમસ્યા રહેતી હોય છે, એવામાં હિંગ અકસીર દવા તરીકે કામ કરે છે. જો બાળકને લગ્ન પ્રસંગનું જમ્યા પછી અથવા સામાન્ય દિવસોમાં પેટમાં દુઃખાવો થતો હોય કે પછી ગેસ જેવું અનુભવાતું હોય તો હિંગનો ઉપયોગ બહુ જ સારો રહે છે. હિંગને પાણીમાં ઉમેરી સહેજ ગરમ કરી તેને બાળકના પેટ પર લેપ કરીને લગાડી દો. સવાર સુધી આ લેપને રહેવા દો. પરિણામે સવારે પેટની સમસ્યામાંથી છુટકારો મળે છે
આશા છે કે આજની માહિતી આપને વધુ પસંદ આવી હશે. આવા જ અન્ય આર્ટિકલ વાંચવા માટે આપ ફેસબુક પેજ ‘ફક્ત ગુજરાતી’ સાથે જોડાયેલા રહેજો.
#Author : Ravi Gohel