દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં મોરના ટહુકા પછી જ થાય છે આરતી !!!!

 દુનિયાનું એકમાત્ર મંદિર કે જ્યાં મોરના ટહુકા પછી જ આરતી થાય છે – માંડવરાયજી મંદિર :

 પાંચાળની કંકુવર્ણી ભોમકા પર મુળી નામે સુરેન્દ્રનગર જીલ્લાનો તાલુકો છે.આ મુળી ગામની વચ્ચોવચ્ચ એક મંદિર આવેલ છે.દેખાવ તો સામાન્ય  મંદિર જેવો જ.એટલે કશું અજીબોગરીબ એમાં પ્રથમ નજરે જોનારને તો ન જ જણાય.પણ જો તમારે એવું આશ્વર્ય જોવું હોય તો આ મંદિરમાં સવાર-સાંજ આરતી ટાણે હાજર રહેવું પડે.

મંદિર છે મુખ્યત્વે પરમાર રાજપુતોના ઇષ્ટદેવતા – માંડવરાયજીનું. કે જે સુર્યદેવનો અવતાર મનાય છે.પરમારોના એ કુળદેવતા છે.વળી,સોની અને જૈન લોકો પણ તેને માને છે.

આ મંદિરના રહસ્યની વાત કરતા પહેલાં એક નજર મુળીના ભુતકાળ પર ફેરવી લઇએ –

મુળી જુના વખતમાં એક નાનકડું રજવાડું હતું.તેની ગાદીએ પરમાર રાજાઓ શાસન કરતા.એ વખતે મુળીની ગાદી પર સાતમી પેઢીએ ચાંચોજી પરમાર નામના રાજા થઇ ગયાં.એવી વાત ચાલી આવે છે કે એક વાર હળવદના રાજા કેસરજી,ધ્રોલના રાજા અને ચાંચોજી દ્વારિકા ગયા.ત્યાં ગોમતીમાં સ્નાન કરી ત્રણેયે પોતાની મરજી મુજબ એક-એક પ્રતિજ્ઞા લીધી.ચાંચોજી પરમારે પ્રતિજ્ઞા લીધી કે,મારી પાસે આવી કોઇપણ વ્યક્તિ જે માગે તે આપવું.વખત જતાં ધ્રોલ રાજવીની અને હળવદના રાજાએ લીધેલી પ્રતિજ્ઞાઓ તુટી ગઇ પણ ચાંચોજી પરમારનું વ્રત અખંડ રહ્યું.આથી હળવદના રાજા કેસરજીને તેની ઇર્ષ્યા થઈ આવી.તેણે ચાંચોજીનો પ્રતિજ્ઞાભંગ કરવા માટે પોતાના દશોંદી ચારણને કહ્યું.ઘણી આનાકાની પછી ચારણ તૈયાર થયો.

ચાંચોજીના દરબારમાં ચારણ આવ્યો અને તેણે ચાંચોજી પાસે જીવતા સિંહના દાનની માગણી કરી !આખા ડાયરાએ ચારણને આવું ના કરવા સમજાવ્યો પણ ચારણ તો હઠ લઇને બેઠો.અને દુહા લલકાર્યા –

જમીં દાન કે દે જબર,લીલવળુ લીલાર

સાવજ દે મું સાવભલ,પારકરા પરમાર !

હે ચાંચોજી પરમાર ! કોઇ શક્તિમાન રાજવી જમીનના દાન આપે,તો વળી કોઇ માડીજાયો પોતાનું માથું પણ ઉતારી દે.પણ મને તો સાવજ જ ખપે.માટે હે પરમાર ! મને તો સાવજ જ આપ.

ચારણની માંગ પુરી કરવાનું ચાંચોજીએ વચન આપ્યું.પછી તેમણે માંડવરાયજીના મંદિરે જઇ ટ?માંડવરાયદાદાને પોતાની આબરુ રાખવા પ્રાર્થના કરી.અને એવું કહેવાય છે કે બીજે દિવસે પાંચાળના ડુંગરોના ગાળામાં બધાં ગયા ત્યારે ભગવાન માંંડવરાયજી ખુદ સાવજ બનીને આવ્યાં.ચાંચોજી એને પકડીને ચારણ પાસે લાવ્યાં.પણ ચારણ ક્યાં ? ચારણ એ વાત તો સાવ ભુલી જ ગયેલો કે સાવજનું દાન સ્વીકારવું કઇ રીતે ! તેને હાથમાં પકડવો એ સહેલી વાત હતી ! ચારણ દેમાર ત્યાંથી ભાગ્યો અને ભાગતા ભાગતા તેણે કહ્યું કે,ચાંચોજી ! હવે એને છોડી મુક.એટલે મેં માંગેલુ દાન પહોંચી ગયું સમજજે ! ચાંચોજીએ સિંહને વંદન કરી છોડી મુક્યો.આજ ભગવાન માંડવરાયજીએ એની આબરુ રાખી હતી !

આવા માંડવરાયજીનું મંંદિર આજે પણ મુળીની વચ્ચોવચ કેસરી ધજા ફરકાવતું ઊભું છે.

પાંચાળના રતન સમા આ મંદિરમાં સવાર-સાંજ ભગવાન માંડવરાયની આરતી થાય છે.અને આરતી ક્યારે થાય છે ખબર ?જ્યારે એક મોર દુનિયાના કોઇ અગોચર ખુણેથી પ્રગટતો હોય એમ આવીને મંદિરની ટોચ ઉપરના ચોક્કસ સ્થળે બેસીને બે અષાઢી કંઠના ટહુકા કરે ત્યારે !!

આજે ઘણાને એ વાત માનવા જેવી ના લાગે તો માંડવરાયજીના મંદિરે જઇ,આરતીમાં હાજરી પુરાવજો !

આજ-કાલની આ વાત નથી.દિવસોના મહિના,મહિનાના વર્ષો,વર્ષોના દાયકા અને દાયકાઓની સદીઓ થઇ ગઇ તોયે આ ઘટનાક્રમમાં કદી ફેરફાર નથી થયો !સાંજે તેના નિશ્વિત સમયે,એક ક્ષણ માત્રના વહેલાં-મોડાં વિના મોર આવે છે.ક્યાંથી આવે છે ? કોઇ નથી જાણતું ! આવીને મંદિરના ઘુમ્મટની એક નિશ્વિત જગ્યાં પર બેસે છે.અને નિશ્વિત સમયે જ બે અષાઢી ટહુકા કરે છે અને મોરના ટહુક્યા બાદ નગારે ઘાવ પડે છે,ઝાલર રણકે છે,ધુપેડો ફરે છે અને ભગવાન માંડવરાયની આરતી આરંભ થાય છે.

મોર ત્યાં જ રાત રહે છે.સવારે પાછો દરરોજના નિયત સમયે મોર ટહુકે છે અને આરતી બાદ મોર જતો રહે છે.ક્યાં જાય છે ? કોઇ નથી જાણતું ! પણ એટલું ચોક્કસ કે સાંજે પાછો નિયત સમયે મોર આવે છે જરૂર.આવે એટલે આવે જ.પછી ભલે પ્રખર ગરમી હોય,ઠંડી હોય કે ભયંકર ચક્રાવાત અને ગાજવીજ સાથેનો વરસાદ હોય ! કદાચ સુર્ય પશ્વિમ દિશામાં ઉગે તો ભલે પણ મોર એનો ઘટનાક્રમ ચુકે એ સંભવ નથી.

વળી,આટલાં દાયકાઓથી મોર એનો એ જ છે ! અન્ય બદલાયો નથી.એ જ મોર,એ જ સમયે આરતી ‘કરાવે’ છે.

આની પાછળ શું કારણ હોઇ શકે ? વિજ્ઞાન કદાચ તથ્ય શોધવાનો પ્રયાસ કરે તો શું શોધી શકે ? એને આ ઘટના પાછળ કોઇ કારણ જ કેમ મળે ? અસંભવમ્ ! આખરે દુનિયામાં એવી વસ્તુ,એવી ઘટના કે એવા સ્થળનું પણ અસ્તિત્વ છે કે જે વિજ્ઞાનની સમજના સિમાડા બહાર છે ! અને એ શું છે ? અલબત્ત,એ જ તો ઇશ્વર છે,કુદરત છે,સર્વકાલ છે.

જર્મન ભેજાબાજ આલ્બર્ટ આઇન્સટાઇન કહે છે – “સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કોઇ અદ્રશ્ય ચેતના વડે થાય છે,એ વાત દિવા જેવી સ્પષ્ટ છે.અને એ સામાન્ય માનવીની સમજ બહાર છે.એ ઇશ્વર છે.”

અને આ ઘટનામાં પણ માંડવરાયના ભક્તો માંડવરાયદાદાનો જ પરચો ભાળે છે.એ સિવાય તો બીજું કોણ આવું કરી શકવાને સમર્થ છે ? ભાઇસા’બ આ તો યુગોથી એકધારું અસ્ખલિત ચાલ્યું આવે છે ! “જય માંડવરાયદાદા”.

પત રાખતા પરમારની,તે દિ’ તું હાવજ થઇને હિંક્યો

અજાન આજ એ વેળા,માંડવરા તું મોર બનીને ટહુક્યો !

– Kaushal Barad

4 thoughts on “દુનિયાનું એકમાત્ર એવું મંદિર જ્યાં મોરના ટહુકા પછી જ થાય છે આરતી !!!!”

  1. Really it is amazing…
    In my life, i have make minimum 01 visit to this place..
    Jay Mandavraydada

    Reply

Leave a Comment