કોઈ દુખ ન હોવા છતાં લગ્નજીવનમાં સુખ નથી અનુભવાતું..😣 આના વિષે જાણો એક મહિલાનો અભિપ્રાય

મારી ઉંમર ૩૬ વર્ષ છે. લગ્નને ૧૨ વર્ષ થયાં છે. માત્ર દીકરાને કારણે લગ્ન ટક્યાં છે. હું પિયરમાં ખૂબ લાડકોડથી ઊછરી હતી. કદી કોઈએ ઊંચા અવાજે ઘાંટોય નહોતો પાડ્યો. આજે દર એકાંતરે દિવસે પતિ મારા પર ગરજે છે. દીકરાનું ભવિષ્ય નજર સામે રાખીને એ સહન કરી લઉં છું. મારાં લગ્ન થયાં ત્યારે તેમની પાસે નોકરી પણ નહોતી. આજે તેઓ નોકરીમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને કંપનીમાં સારી પોસ્ટ પર પહોંચી ગયા છે. પૈસો આવે એટલે સુખ જાય એ વાત કેટલી સાચી છે એ મને નજરે જોઈને ખબર પડી.

આમ જોવા જઈએ તો લગ્નજીવનમાં કોઈ જ તકલીફ નથી, માત્ર પરસ્પર માટે રિસ્પેક્ટ નથી. હું ગૃહિણી છું અને તેમને લાગે છે કે હું ગમાર છું. દીકરાને પહેલાં હું ભણાવી શકતી હતી, પરંતુ ઇંગ્લિશ મીડિયમમાં હવે અઘરું આવતું હોવાથી તેને ભણાવી નથી શકતી. જો મને કંઈક ન આવડે તો તેના પપ્પા મારા દીકરાની સામે મારી મજાક ઉડાવે. મારી દેરાણી અને જેઠાણીઓ વધુ ભણેલી અને નોકરી કરતી હોવાથી તેમને બહારનું જ્ઞાન આવડે છે, પણ ઘરમાં તેઓ ઝીરો છે.

‘ઘરનું મને કંઈ ન આવડે’ એ વાત તેઓ હસતાં-હસતાં સ્વીકારી શકે છે, પણ તેમના પતિઓ કદી તેમની પર ચિલ્લાતા નથી. સમાજમાં ખૂબ ઊંચી હેસિયત ધરાવતો, ઍવરેજ મધ્યમ વર્ગ કરતાં ઘણો વધુ પૈસો ધરાવતો પરિવાર હોવા છતાં સુખ નથી. દેખીતી રીતે કોઈ દુખ નથી, પણ સુખનો શ્વાસ લઈ શકાય એવી મુક્તતા પણ નથી.

સાચું કહું તો આવી સ્થિતિમાં તમે એકલાં નથી. ઘણી બહેનો પોતાના ઘરના ખૂણામાં કોઈનેય ખબર ન પડે એ રીતે ડૂસકાં લઈ લેતી હોય છે. રાણીનો તાજ પહેરાવ્યા પછી રાજા જો દરરોજ અપમાનના તમાચા લગાવી જતો હોય તો પૈસો અને રાજપાટનું સુખ કેવી રીતે રાણીને પચે?

ચાણક્ય કહેતા હતા કે જો તમે આપો નહીં તો કોઈ તમારું સ્વમાન છીનવી ન શકે. મને સ્ત્રીઓ માટે આ વાત બહુ જ યોગ્ય લાગે છે. સ્ત્રીઓ સહજતાથી પોતાનાં માન-અપમાનની ચાવી બીજાને, ખાસ કરીને પતિ, પિતા કે ભાઈને સોંપી દેતી હોય છે. બીજા તમારું અપમાન કરે છે એ તેમનો વાંક તો છે જ, પણ તમે એ વાતને સાંભળી અને સહેમીને બેસી રહો છો એ તમારો પણ ગુનો છે જ.

સ્ત્રી પોતાને જ સન્માનની નજરે જોતી નથી અને પછી અપેક્ષા રાખે છે કે કોઈ તેને સન્માન આપે. સ્ત્રી જાતે જ પોતાનાં કામોની બાબતમાં સ્વતંત્ર નથી અને પછી અપેક્ષા રાખે છે તેને બધું કરવાની બીજું કોઈ સ્વતંત્રતા આપે. હું માનું છું કે જ્યારે સ્ત્રીઓ જીવનજરૂરિયાતની કેટલીક પાયાની બાબતો કરવામાં આત્મનિર્ભર થઈ જાય તો બીજાનો તો ઠીક, ખુદ પોતાનો પોતાને જોવાનો નજરિયો બદલાઈ જશે.

ચાલો લીસ્ટ બનાવો. તમને બહારનાં કયાં કામો કરવામાં તકલીફ પડે છે? એક વ્યક્તિને આત્મનિર્ભર થવા માટે કઈ ચીજો આવડવી જોઈએ? જેમ ઘર ચલાવવું એ બહુ જ મહત્વની બાબત છે એમ ઘર ચલાવવા માટે જરૂરી પૈસા કમાતાં આવડવું અને એ પૈસાનું યોગ્ય મૅનેજમેન્ટ કરતાં આવડવું પણ જરૂરી છે.

એક સમયે ચાઇનીઝ આઇટમની એક રેસિપી ઓછી આવડતી હશે તો ચાલશે, પણ જીવન જીવવા માટે જરૂરી બહારનાં કામો કરવાનો આત્મવિશ્વાસ હોવો મસ્ટ છે. તમારી દેરાણી-જેઠાણીને ગુરુ બનાવો અને કોઈ જ નાનમ વિના તમને ન આવડતાં બહારનાં કામો શીખવાનું શરૂ કરો.

પતિ માન આપે કે ન આપે, તમે પોતાને માન આપી શકશો તો અલગ જ પ્રકારની સ્વતંત્રતા મહેસૂસ થશે.

આવા અદ્ભુત આર્ટીકલ્સ વાંચવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઇક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીયો સાથે શેર કરો, આભાર..નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.

AUTHOR : ADITI NANDARGI

1 thought on “કોઈ દુખ ન હોવા છતાં લગ્નજીવનમાં સુખ નથી અનુભવાતું..😣 આના વિષે જાણો એક મહિલાનો અભિપ્રાય”

Leave a Comment