અંજીરનું ફળ ભલે ઓછા લોકોએ જોયું હોય પરંતુ સૂકા અંજીર તો તમે પણ ખાધા જ હશે. શું નથી ખાધા? તો પછી નામ તો સાંભળ્યું જ હશે. જી હા, જો તમે અંજીરનું ફળ નથી ખાધુ તો આજથી જ તેને ખાવાની ટેવ પાડો કારણકે તેના એટલા ફાયદા છે કે તમે હંમેશા રોગોથી દૂર રહેશો.
અંજીર જેને અંગ્રેજીમાં figs કહેવાય છે, તેનું નામ તો તમે જરૂર સાંભળ્યું હશે. આ કોઈ સામાન્ય ફળ નથી જે દરેક ફળવાળા પાસે મળી જાય પરંતુ ખૂબ જૂનું ફળ જરૂર છે. તેનો વર્ષોથી ઉપયોગ થઈ રહ્યો છે. અંજીર સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે પોષક તત્વોથી ભરપૂર છે. કદાચ અંજીર એકમાત્ર એવું ફળ છે જે ફળ સ્વરૂપે ખાવામાં આવે છે પરંતુ સુકાઈ ગયા પછી સ્વાસ્થ્ય માટે વધુ ગુણકારી બને છે. અંજીરને આપણે ફળ અને સુકામેવા બંને રૂપે ખાઈ શકીએ છીએ. આજે અમે તમને જણાવીશું અંજીર ખાવાના ફાયદાઓ વિશે જે તમને વર્ષ દરમિયાન તંદુરસ્ત રાખવામાં મદદ કરશે.
અંજીર પોષક તત્વોથી ભરપૂર છે:
અંજીરમાં વિટામિન એ, સી, કે, બી ની સાથે સાથે પોટેશિયમ, મેગ્નેશિયમ, ઝીંક, કોપર, મેંગેનીન, આયર્ન અને કેલ્શિયમ મળી આવે છે. 100 ગ્રામ સુકેલા અંજીરમાં 209 કેલેરી, 4 ગ્રામ પ્રોટીન, 1.5 ગ્રામ ચરબી, 48.6 ગ્રામ કાર્બોહાઈડ્રેટ, 9.2 ગ્રામ ફાઈબર હોય છે. તેમજ, 100 ગ્રામ તાજા અંજીરમાં 43 કેલરી, 1.3 ગ્રામ પ્રોટીન, 0.3 ગ્રામ ચરબી, 9.5 ગ્રામ કાર્બોહાડ્રેટ અને 2 ગ્રામ ફાઈબર હોય છે. અંજીર એક ખૂબ જ મીઠું ફળ છે કારણ કે તેમાં નેચરલ શુગર પણ ખૂબ હોય છે અને તે એન્ટી ઓક્સિડન્ટનો એક ઉતમ સ્રોત પણ છે, જેના કારણે તે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
અંજીર હદય માટે ખૂબ જ ફાયદાકારક છે:
શરીરમાં જ્યારે ફ્રી રેડિકલ્સ રચાય છે ત્યારે હદયમાં રહેલી કોરોનરી ધમનીઓ અવરોધિત થઈ જાય છે અને હૃદય સંબંધિત બીમારીઓ થવા લાગે છે. આવી સ્થિતિમાં, અંજીરમાં રહેલા એન્ટી ઓક્સિડેન્ટ ગુણ આ ફ્રી રેડીકલ્સને દૂર કરી હદયને સુરક્ષિત રાખે છે. આ ઉપરાંત અંજીરમાં ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ જેવા ગુણ પણ હોય છે, જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
ડાયાબિટીસમાં ફાયદાકારક છે:
અંજીરના પાંદડામાં મળતું તત્વ ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં મદદ કરે છે. 2003 ના એક અભ્યાસ મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે લોહીમાં ફેટી એસિડ અને વિટામિન ઇના સ્તરને સામાન્ય રાખવામાં મદદ કરવાથી અંજીરના અર્કથી ડાયાબિટીસની સારવારમાં ફાયદો થઈ શકે છે.
કોલેસ્ટ્રોલના સ્તરને ઓછું કરે છે:
અંજીરમાં પેક્ટીન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે જે લોહીમાં હાજર ખરાબ કોલેસ્ટરોલનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે. સાથે જ અંજીરનો ફાઇબર ગુણ પાચન તંત્રમાંથી પણ વધુ કોલેસ્ટ્રોલને સાફ કરી શકે છે.
અંજીર કબજિયાત દૂર કરે છે:
અંજીરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને પાચન તંત્ર સારી રીતે કામ કરવાનું શરૂ કરે છે. અંજીરમાં પર્યાપ્ત માત્રામાં ડાઈટ્રી ફાઈબર મળી આવે છે. તેથી, અંજીર ખાવાથી પેટ સાફ કરવામાં મદદ મળે છે. પાચન તંત્રમાં સુધારો લાવવા માટે બે થી ત્રણ અંજીરને રાત્રે પાણીમાં પલાળીને પછી બીજા દિવસે સવારે ખાઓ.
અંજીર એનિમિયા દૂર કરે છે:
શરીરમાં જ્યારે આયર્નની ઉણપ થાય છે ત્યારે વ્યક્તિ એનિમિયાનો શિકાર બને છે. સુકા અંજીરને આયર્નનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે. તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. અંજીર ખાવાથી શરીરમાં આયર્નની માત્રા વધી શકે છે અને શરીર કોઈપણ પ્રકારના રોગો સામે લડવામાં સક્ષમ બને છે.
અંજીર અસ્થમામા પણ ફાયદાકારક છે:
અંજીર અસ્થમાથી બચાવવામાં પણ મદદ કરે છે. અંજીરના સેવનથી શરીરની અંદર મ્યુકસ મેમ્બ્રેનને ભેજ મળે છે અને કફ સાફ થાય છે, જેનાથી અસ્થમાના દર્દીઓને રાહત મળે છે. અંજીર ફ્રી રેડિકલ્સ સામે લડે છે. જો ફ્રી રેડિકલ્સ શરીરમાં જળવાઈ રહે, તો અસ્થમાને વધારે ગંભીર બનાવી શકે છે.
બ્લડ પ્રેશર નિયંત્રિત કરવામાં મદદરૂપ છે:
જો તમે અંજીર નિયમિત રીતે ખાશો તો બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખી શકાય છે. અંજીરમાં મળી આવેલ ફાઇબર અને પોટેશિયમ બંને મળીને હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય અંજીરમાં ઓમેગા -3 અને ઓમેગા -6 ફેટી એસિડ પણ જોવા મળે છે, જે બ્લડપ્રેશરને નિયંત્રિત કરે છે.
અંજીર હાડકા માટે ફાયદાકારક છે:
અંજીરમાં કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે અને આ દરેક વસ્તુઓ હાડકાઓને મજબૂત બનાવી રાખવા માટે જરૂરી માનવામાં આવે છે. કેલ્શિયમથી ભરપૂર અંજીર, હાડકાઓને મજબુત બનાવવામાં મદદ કરે છે જેનાથી હાડકા તૂટવાનો ભય ઓછો થઈ જાય છે.
જો તમને આ માહિતી સારી લાગી હોય તો અમને કમેન્ટ સેકશન માં જરૂર જણાવજો.. આવી અવનવી માહિતી જાણવા માટે અમારું પેજ “ફક્ત ગુજરાતી” લાઈક કરો અને તમારા મિત્રો તથા સગા સંબંધીઓ સાથે શેર જરૂર
કરવું.
નોંધ : આ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજૂરી લેવી જરૂરી છે.
Author: FaktGujarati Team